Ads Area

ભારતના "મિસાઈલ મેન" ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ

Abdul Kalam Photo

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ભારતરત્નથી સન્માનિત, યુવાઓના માર્ગદર્શક, પીપલ્સ પ્રેસિડેન્ટ અને ભારતના "મિસાઈલ મેન" તરીકે ઓળખાતા એવા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ (પૂરું નામ અવુલ પકિર જૈનુલાબ્દિલ અબ્દુલ કલામ) સાહેબ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તારીખ ૧૫ મી ઓક્ટોબર ૧૯૩૧ એ તેમનો જન્મદિવસ આવે છે અને તારીખ ૨૭ જુલાઈ ૨૦૧૫ ના રોજ તેમની પુણ્યતિથિ આવે છે. 

શરૂઆતનું જીવન:

અબ્દુલ કલામ (પૂરું નામ અવુલ પકિર જૈનુલાબ્દિલ અબ્દુલ કલામ) જેમનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલા એક ટાપુ-ગામ રામેશ્વરમમાં તારીખ ૧૫/૧૦/૧૯૩૧ નાં રોજ એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ જૈનુલાબ્દિલ અને માતાનું નામ આશિયામ્માનું હતું. તેઓ તેમનું પાંચમું સંતાન હતા. તેમના માતા-પિતા સમાજમાં એક આદર્શ દંપતી ગણાતા હતાં. 

અબ્દુલ કલમના પરિવારમાં મોટા ભાઈ એ.પી.જે.એમ. મરાઈ કાયર, મુસ્તફા કલામ, નાનાં ભાઈ કાસિમ મહમ્મદ અને બહેન જોહરા હતાં. મુસ્તફા કલામ જેમની રેલવે સ્ટેશન ઉપર પરચુરણની દુકાન હતી. નાનાં ભાઈ કાસિમ મહમ્મદની રામેશ્વરમમાં શંખ અને છીપોથી બનેલી વિવિધ વસ્તુઓની દુકાન હતી. કલામ પણ ક્યારેક ક્યારેક દુકાને જતાં અને ત્યાં બેસીને વસ્તુઓ વેચતા હતા. 

કલામ ઓગણીસમી સદીમાં બંધાયેલ તેમનાં પૂર્વજોના ઘરમાં રહેતા હતા. તેમનું મકાન રામેશ્વરમની મસ્જિદની શેરીમાં આવેલુ  હતું. કલામના માતા-પિતા ચુસ્ત સાદગીમાં માનતા હોઈ બિનજરૂરી સગવડ અને મોજમજાને ટાળતા હતા અને તેજ સાદગી આગળ કલામ સાહેબમાં જોવા મળી હતી. કલામ સાહેબ સામાન્ય રીતે પોતાનું ભોજ માતા સાથે રસોડામાં બેસીને જમતા હતા. તેમના માતા તેમને કેળના પાનમાં ભાત, સંભાર, ઘરે બનાવેલ વિવિધ અથાણાં અને નારિયેળમાંથી બનેલી તાજી ચટણી જમવામાં આપતા. 

કલામના પિતાજી સવારે ૪ વાગ્યે ઉઠી જતાં અને પછી નમાજ પઢવા બેસતાં. નમાજ પૂરી કરી તેઓ તેમના ઘરેથી ૪ માઈલ દૂર આવેલ એમની માલિકીના નારયેળીના વનમાં ચાલ્યા જતાં. પાછા વળતી વખતે તેઓ પોતાના ખભા ઉપર એકાદ ડઝન નારિયેળ લેતા આવતા અને પછી જ તેઓ નાસ્તો કરતાં હતા અને છ દાયકા સુધી આ નિયમ તેમણે ચાલુ રાખ્યો હતો. કલામ સાહેબે પણ તેમના સમગ્ર જીવન દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં એમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો. 

રામેશ્વરમનું પ્રખ્યાત મંદિર કલામના ઘરેથી માત્ર દસ મિનિટના અંતરે હતું. તેઓ જ્યાં રહેતા હતા તે વિસ્તાર મહદઅંશે મુસ્લિમ કુટુંબોનો હતો પણ ત્યાં થોડા ઘણા હિન્દુ કુટુંબો પણ વસતા હતા અને બધા હળીમળીને રહેતા હતા. આમ ભાઇચારાના આ ગુણ તેમણે બાળપણથી જ પ્રાપ્ત થયા હતાં. કલામના પિતા તેમને રોજ મસ્જિદે નમાજ માટે લઈ જતાં હતા. એમના પિતા જ્યારે નમાજ પૂરી કરીને બહાર આવતા ત્યારે વિવિધ પંથો અને વિવિધ સમુદાયના લોકો તેમની રાહ જોતાં અને ઘણા લોકો તેમને પીવાનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતા અને પ્રાર્થના કરતાં. આ પાણી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું અને તેઓ આ પાણીથી સાજા થઈ જતાં અને લોકો તેમનો આભાર વ્યકત કરવા આવતા ત્યારે એમના પિતા કહેતા કે આભાર મારો નહીં પણ અલ્લાહનો માનો. 

કલામના બાળપણના મિત્ર અહમદ જલાલુદ્દીન જેઓ પાછળથી તેમના બનેવી બન્યા હતા. જલાલુદ્દીન કલામ કરતાં પંદર વર્ષ મોંટા હતા છતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેઓ તેમને "આઝાદ" કહીને બોલાવતા હતા. બંને સાંજે દૂર સુધી ફરવા જતાં. કલામ મુસ્લિમ હોવા છતાં રામેશ્વરમમાં આવતા શ્રધ્ધાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરતાં એ જ ભાવથી તેઓ પણ પ્રદક્ષિણા કરતાં. જલાલલુદ્દીન હમેશા કલામની સાથે શિક્ષિત લોકો વિશે, વૈજ્ઞાનિક સંશોધનો વિશે, તત્કાલીન સાહિત્ય વિશે અને મેડિકલ વિજ્ઞાનની સિધ્ધિઓ વિશે વાત કરતાં. કલામને તેમણે સંકુચિત જગતની પેલે પારના 'બ્રેવ ન્યુ વર્લ્ડ' વિશે જાગૃત કર્યા હતા. 

કલામની કિશોરાવસ્થાને પ્રબળ રીતે પ્રભાવિત કરનાર બીજું વ્યક્તિત્વ હતા તેમના પિતરાઇ ભાઈ સમશુદ્દીન. તેઓ રામેશ્વરમમાં વર્તમાનપત્રોના મુખ્ય વિક્રેતા હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું  ત્યારે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. રામેશ્વરમ સ્ટેશને જે ટ્રેન ઊભી રહેતી હતી તે બંધ થઈ ગઈ હતી અને છાપ પણ એજ ટ્રેનમાં આવતા. બીજી ટ્રેન આવતી એ ટ્રેન રામેશ્વરમ ઊભી રહેતી નહોતી અને તેમાંથી છાપા ફેંકવામાં આવતા. અબ્દુલ કલામે પોતાના પિતરાઇ ભાઈને આ છાપાના બંડલો પકડવામાં મદદ કરી હતી. સાંજે શાળાએથી આવી કલામ ન્યૂઝ પેપરના બાકીના નાણાં લેવા પણ જતાં અને તે સમયે કલામ પહેલીવાર પૈસા કમાયા હતાં. 

અબ્દુલ કલામને વારસામાં પિતા પાસેથી શિસ્ત અને પ્રામાણિકતા મળ્યા હતા તથા માતા પાસેથી ભલાઈમાં વિશ્વાસ અને ઊંડી કરુણા મળ્યા હતાં. જલાલલુદીન તથા સમશુદ્દીન સાથે જે સામે ગાળ્યો હતો તેણે અબ્દુલ કલામના બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો હતો. અબ્દુલ કલામના બાળપણમાં ત્રણ ગાઢ મિત્રો હતા. રામાનંદ સ્વામી, અરવિંદન અને શિવપ્રકાશન. આ ત્રણેય મિત્રો હિન્દુ બ્રામ્હણ પરિવારમાંથી આવતા હતા છતાં તેઓ વચ્ચે કોઈ ધાર્મિક ભેદભાવ નહોતો. 

અભ્યાસ:

અબ્દુલ કલામે પોતાનું પ્રાથમિક શિક્ષણ રામેશ્વરમની એલિમેન્ટરી શાળામાં લીધું હતું. તેમના વિજ્ઞાનના શિક્ષક હતા શિવ સુબ્રમણ્યમ ઐયર. કલામ જ્યારે પાંચમા ધોરાણમાં હતા ત્યારે તેમના વિજ્ઞાનના શિક્ષક સુબ્રમણ્યમ ઐયરે તેમને પક્ષીઓ કેવી રીતે ઊડે છે તેના વિજ્ઞાનિક સિદ્ધાંતો વર્ગમાં સમજાવ્યા હતાં. અબ્દુલ કલામના માતા ૯૩ વર્ષ સુધી જીવ્યા હતા. તેમની માતા માટે કલામ લખે છે કે "A woman of love, a woman of kindness and above all a woman of divine nature." 

તેમના બાળપણનો એક કિસ્સો છે. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. આ સમયગાળો અબ્દુલ કલામના ઘર માટે પણ વિકટ હતો. એક દિવસ કલામ જમવા બેઠા હતા. કલામ એક પછી એક રોટલી માંગયે જ જતાં હતા અને તેમના માતા તેમને એક પછી એક રોટલી આપ્યે જ જતાં હતા. કલામે જ્યારે પોતાનું ભોજન પૂર્ણ કર્યું ત્યારે તેમના મોંટા ભાઈએ તેમને બોલાવ્યા અને ખાનગીમાં ઠપકો આપતા કહ્યું કે "કલામ તને ખબર છે શું બની રહ્યું હતું? તું રોટલી ખાધે રાખતો હતો અને મા તને આપ્યે જ રાખતી હતી. તેને તને પોતાના ભાગની બધી જ રોટલી આપી દીધી. અત્યારે ખૂબ તકલીફભર્યો સામે ચાલે છે. ત્યારે એક જવાબદાર પુત્ર બનવાની જરૂર છે અને માને ભૂખી ન રખાય ." કલામ આ સાંભળી ધ્રુજી ઉઠે છે અને પોતાની માતા પાસે દોડી જાય છે અને તેમને વળગી પડે છે. અબ્દુલ કલામને તેમનું જીવન સતત પ્રેરણા આપતું રહ્યું છે. 

હાઇસ્કૂલનું શિક્ષણ કલામે સ્વાર્ટઝ હાઇસ્કૂ, રામનાથપૂરમાં લીધું હતું. ત્યાં તેમને ઈયાદુરાઈ સોલોમેન નામના શિક્ષક મળ્યા હતા. તે તેમના માટે એક આદર્શ માર્ગદર્શક બન્યા. ઈયાદુરાઈ સોલોમેન સાહેબ તેમને જે કહેતા તેઓ તે નોંધતા અને કલામ સાહેબ લખે છે કે "જીવનમાં સફળ થવા અને ધાર્યા ઉચ્ચ પરિણામો મેળવવા તમારે ત્રણ પ્રબળ અને શક્તિશાળી પરિબળોને સમજવાના અને નિયંત્રિત કરવાના છે: ઈચ્છા, માન્યતા અને અપેક્ષા. તું જે ઈચ્છે છે તે બને તે પહેલા તતારે તેની ઈચ્છા ઊભી કરી એવું પૂર્ણ અને ચોક્કસપણે બનશે તેમ માનવું, તો સફળતા અવશ્ય મળે જ." આ વાતનું જીવંત ઉદાહરણ કલામના જીવનમાંથી મળે છે. 

ઈ. સ. ૧૯૫૦ માં કલામ ત્રિચીની સેંટ જોસેફ કોલેજમાં જોડાયા. આ જ કોલેજમા તેમણે પોતાનો બી. એસ. સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અબ્દુલ કલામ કહે છે કે વિજ્ઞાનનાં વિધાર્થીઓ માટે કારકિર્દીની બીજી તકો રહેલી હોય છે પણ તે વિશે મારી પાસે કોઈ માહિતી નહોતી. બી.એસ.સી. ની ડિગ્રી મેળવ્યા પછી જ મને ભાન થયું કે ભૌતિકશાસ્ત્ર મારો ખાસ વિષય નહોતો. પોતાના સ્વપ્નોને સાકર કરવા માટે તેમણે તે સમયે દક્ષિણ ભારતની ટેકનિકલ સંસ્થાઓમાં મુકુટ સમાન ગણાતી "મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી" (એમ.આઈ.ટી.) માં પ્રવેશ માટે અરજી કરી હતી. 

એમ.આઈ.ટી. માં પસંદ થયેલા ઉમેદવારોની યાદીમાં ડો. અબ્દુલ કલામનું નામ પણ હતું પણ ત્યાં ભણવું ખૂબ જ ખર્ચાળ હતું. કોલેજની ફી ભરવા માટે તેમને એક હજાર રૂપિયા ફી ની આવશ્યકતા હતી. અબ્દુલ કલામના પિતા આ ફી ચૂકવી શકે તેમ નહોતા તે સમયે તેમની બહેન જોહરાએ પોતાની સોનાની બંગડી અને સોનાનો હાર ગીરવે મૂકીને તેમને ફી ભરવાના એક હજાર રૂપિયા આપ્યા હતા. 

પ્રથમ વર્ષ પૂર્ણ થયું અને વિશિષ્ટ શાખાની પસંદગી કરવાની હતી. તેમણે પોતાના સ્વપ્નોને પાંખ આપી અને એરોનોટિકલ ઈજનેરીનો અભ્યાસક્રમ પસંદ કર્યો. આ વખતે પૈસા મેળવવાનો એક જ માર્ગ હતો અને તે સખત મહેનત મેળવી શિષ્યવૃત્તિ મેળવવાનો હતો. આ પછી તમને દર વર્ષે પ્રથમ આવી અને શિક્ષયવૃત્તિ મેળવી હતી. આવા સખત પુરુષાર્થના બળે તેમણે કોલેજ પૂરી કરી અને એરોનોટિકલ એન્જિનિયર બન્યા હતા. 

વ્યક્તિત્વ:

અબ્દુલ કલામ ખૂબ જ ઉત્સાહી રાષ્ટ્રપતિ હતા. તેમણે રાષ્ટ્રપતિના હોદ્દાને સંભાળ્યા બાદ માત્ર દસ જ મહિનામાં ૨૧ રાજ્યોની મુલાકાત લીધી હતી. આ મુસાફરી દરમ્યાન તેમનાથી થાય એટલા પ્રોગ્રામ તેઓ ગોઠવી દેતાં અને તેમને કોઈપણ જગ્યાએ જવાનું હોય તો તેઓ આગલી રાત્રે જ તે સ્થળે પહોંચી જતાં અને બીજા દિવસથી જેટલા પ્રોગ્રામ ગોઠવવા શક્ય હોય તેટલા પ્રોગ્રામ ગોઠવી તેઓ તેમાં હાજરી આપતા, તેમણે લગભગ ૧૨૦૦થી વધુ પ્રોગ્રામ કર્યા હતા અને દોઢ કરોડથી પણ વધુ લોકોને તેઓ મળ્યા હતા અને તેમાં ખાસ યુવાઓ વધુ હતા. 
ઈ.સ. ૨૦૦૫ માં કલામ સ્વિટઝર્લેન્ડ ગયા હતા અને ત્યાંની સરકારે તેમની મુલાકાતની યાદગીરી રૂપે ૨૬ મે ૨૦૦૫ ને "વિજ્ઞાન દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 
હવે વાત આવે છે રાષ્ટ્રપતિ ભાવનની. રાષ્ટ્રપતિ ભવન એ ૩૪૦ એકર જમીનમાં પથરાયેલું છે અને તેમાં મુઘલ ગાર્ડન એ ૧૫ એકરમાં ફેલાયેલો છે. મુગલ ગાર્ડનમાં કલામ એક દિવસ ચાલવા નીકળ્યા હતા અને ત્યાં જ તેમણે વિખૂટું પડી ગયેલું હરણનું બચ્ચું જોયું અને ત્યારે તેમના સંગાથી ડો. સુધીર પણ સાથે હતા. તેમણે જોયું કે હરણના બંને પગ નુકસાન પામ્યા હતા. ડો. સુધીરે તે હરણને સારવાર આપી હતી અને તેમનાથી થાય તેટલું તેમણે કર્યું હતું અને મા અને બચ્ચું બંને ભેગા થઈ જાય પણ આ શક્ય બન્યું નહોતું, આ પછી કલામ ખુદ રોજ તે બચ્ચાને બોટલ વડે દૂધ પીવડાવતા હતા અને એક અઠવાડિયા પછી આ હરણનું બચ્ચું ઊભું થઈ ગયું હતું અને ચાલવા લાગ્યું હતું. થોડા જ અઠવાડિયા પછી હરણોના ટોળાએ તે હરણને સ્વીકારી લીધું હતું અને આ જોઈને કલામ ગદગદ થઈ ગયા હતા. 

૨૪ જુલાઈ ૨૦૦૭ નો દિવસ એ તેમના રાષ્ટ્રપતિ પદ માટેનો છેલ્લો દિવસ હતો. હજારો લોકો તેમને મળવા આવ્યા હતા અને વિદાય વખતે લોકો તેમને જોઈને દંગ રહી ગયા હતા કેમ કે તેમનો બધો જ સામાન માત્ર બે સૂટકેશમાં આવી ગયો હતો. આવું સાદગી ભર્યું હતું તેમનું જીવન. રાષ્ટ્રપતિ પદની બીજી ટર્મ માટે ફરી ઉમેદવાર બનવા માટે તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે સત્તાની લાલસા રાખ્યા વગર અને રાજકીય લાભોની ચાહના રાખ્યા વગર ચૂંટણી લડવાની ના પાડી હતી, તેઓ એવું માનતા હતા કે રાષ્ટ્રપતિ ભવન પક્ષીય રાજકારણનો અખાડો ન બનવો જોઈએ. 

ભારત સરકારના વિવિધ પદો ઉપર નિયુક્તિ:

વર્ષ ૧૯૬૨ સુધી કલામ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીસમેન્ટમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ ૧૯૯૨ માં ઇસરોમાં (ISRO - Indian Space Research Organization) રોકેટ એન્જિનિયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૨ માં તેઓ "ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી" માં નિર્દેશક બન્યા હતા. 

જુલાઈ ૧૯૯૨ માં સંરક્ષણ મંત્રીના સલાહકાર તથા "ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ" ના સચિવ બન્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વર્ષ ૧૯૯૮ માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને ભારતને પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશોની શ્રેણીમાં મૂક્યો હતો. વર્ષ ૧૯૯૯ માં તેમને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૫ જુલાઈ ૨૦૦૨ થી જુલાઈ ૨૦૦૭ સુધી તેઓ ભારતના અગીયારમાં રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા. 

સન્માન:

કલામ સાહેબને ૪૦ જેટલી યુનિવર્સિટીઓએ પી.એચ.ડી.ની માનદ ડિગ્રીઓ આપી હતી. તેમને વર્ષ ૧૮૮૧ માં 'પદ્મ ભૂષણ એવોર્ડ', વર્ષ ૧૯૯૦ માં 'પદ્મવિભૂષણ એવોર્ડ' તથા વર્ષ ૧૯૯૭ માં ભારતનું સર્વોચ્ચ સન્માન એવા 'ભારતરત્ન એવોર્ડ' થી પણ તેમને એનાયત કરવામાં આવેલ હતો. 

કલામ દ્વારા લખવમાં આવેલ પુસ્તકો:

1. India 2020: A Vision for the New Millennium

2. Wings of Fire: An Autobiography

3. Ignited Minds: Unleashing the Power within India

4. The Luminous Sparks: A Biography in Verse and Colours

5. Guiding Souls: Dialogues on the Purpose of Life

6. Mission of India: A Vision of Indian Youth

7. Inspiring Thoughts: Quotation Series

8. You Are Born to Blossom: Take My Journey Beyond

9. The Scientific India: A Twenty First Century Guide to the World around Us

10. Failure to Success: Legendry Lives

11. Target 3 Billion

12. You are Unique: Scale New Heights by Thoughts and Actions

13. Turning Points: A Journey through Challenges

14. Indomitable Spirit

15. Spirit of India

16. Thoughts for Change: We Can Do It

17. My Journey: Transforming Dreams into Actions

18. Governance for Growth in India

19. Manifesto for Change

20. Forge Your Future: Candid, Forthright, Inspiring

21. Beyond 2020: A Vision for Tomorrow’s India

22. The Guiding Light: A Selection of Quotations from My Favourite Books

23. Reignited: Scientific Pathways to a Brighter Future

24. The Family and the Nation

25. Transcendence My Spiritual Experiences

અવસાન:

તારીખ ૨૭ જુલાઈ ૨૦૧૫નો દિવસ એ કલામ સાહેબનો આખરી દિવસ હતો. તેઓ આઈ. આઈ. એમ. શિલોંગમાં વિધાર્થીઓને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પડી ગયા હતા અને ત્યાંથી તેમને તરત એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમને ડૉક્ટરો દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા અને ત્યારે બરાબર ૬:૩૦ વાગ્યા હતા. સાંજે ૮ વાગ્યે ટીવીમાં આ સમાચાર પ્રસારિત થયા હતા અને સમગ્ર રાષ્ટ્ર શોકની લાગણી ડૂબી ગયું હતું. 

તેમના અંતિમ દર્શન કરવા માટે નવી દિલ્હીના માર્ગ ઉપર લાંબી લાઈનોમાં લોકો અડધી રાત સુધી ઊભા રહ્યા હતા. લાખો લોકો તેમની અંતિમયાત્રામાં જોડાવા માટે રામેશ્વરમ પહોંચ્યા હતા. ત્યાં આજબાજુના ગામના લોકો પણ ચાલતા તેમની અંતિમયાત્રામાં જોડાવા આવ્યા હતા. કલામ એક શ્રેષ્ઠ શિક્ષક હતા અને આજીવન તેઓ એક વિધાર્થી બનીને રહ્યા હતા. જેને તે સૌથી વધુ પ્રેમ કરતાં હતા તેવા ભારત દેશની સેવા કરતાં કરતાં તેમણે તેમના અંતિમ શ્વાસ લીધા હતા. 

Source: Wings Of Fire, Wikipedia, Sanjay K. Patel Ph.D. Thesis. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area